ભાજપને રાજપૂતોની જરૂર નથી: ટિકિટ રદ નહીં તો અપક્ષ ઉમેદવારી : ક્ષત્રિય આગેવાન
- 03 Apr, 2024
દેશમાં ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે, તેની વચ્ચે ગુજરાત ભાજપના કાર્યકર્તા રૂપાલા એક નિવેદન મામલે વિવાદ માં ફસાયા છે. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. વિવાદ વકરતા જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હતી. આમ છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત્ જોવા મળતા ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા મથામણ કરી રહ્યું છે.
આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નહીં. ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે, 'આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે, હવે મેદાન માત્ર રાજકોટ નથી સમગ્ર ગુજરાત રહેશે. ગુજરાતમાં 75 લાખ અને દેશભરમાં 22 કરોડ રાજપૂત છે. ભાજપ માટે રુપાલા મહત્વના છે કે રાજપૂત સમાજ? આ આંદોલન માત્ર રુપાલા સામે જ છે. જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ 26 સીટો પર અસર દેખાશે.
અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે. આગામી સમયમાં પોસ્ટર, બેનર, વિરોધ પ્રદર્શન સહિતની રણનીતિ ઘડવામાં આવશે.'જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.' તો ક્ષત્રિય આગેવાન વાસુદેવસિંહ ગોહિલે કહ્યું કે, 'રૂપાલાના પત્ની કે ભાઈને ટિકિટ આપો તો વાંધો નહીં.'
તૃપ્તિબા રાઓલએ કહ્યું કે, 'રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજપૂત સમાજ એવુ માની લેશે કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી.' જ્યારે પદ્મિની બાએ કહ્યું કે, 'આ લડાઈ અમારી માતા-બહેનોની અસ્મિતાની છે, ક્ષત્રિય સમાજમાં ક્યારેય બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં. રૂપાલાની ટિકિટ રદ થાય એ જ માગ છે, સમાધાન નહીં.'
ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, 'ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. પોતાના નિવેદન બદલ રુપાલાએ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ માફી માંગી ચૂક્યા છે. રાજપૂત સમાજ ક્ષમા આપવામાં માનનારો સમાજ છે. આથી રુપાલાને માફી આપવા અમે રાજપૂત કોર કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. જોકે તેમને માફી મંજુર નથી. આજની બેઠકમાં તમામને સાંભળ્યા છે એ વાત અક્ષર સહ પાર્ટી સમક્ષ રજૂ કરીશું. હવે પક્ષ નિર્ણય લેશે. હવે બીજી કોઈ બેઠક નહીં થાય.'
આજે અઢી વાગ્યે ગોતામાં રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે.જાડેજા સહિતના ભાજપના આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જયરાજસિંહ પરમાર, હકુભા જાડેજા, પી.ટી. જાડેજા, તૃપ્તિબા રાઓલ, નરેન્દ્રસિંહ સિસોદિયા, કરણસિંહ રાજપૂત, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા અને સુખદેવસિંહ વાઘેલા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર છે. બેઠકમાં ચાર ક્ષત્રિય મહિલા આગેવાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ